હાલના સમયમાં ઘણી બધી વસ્તુઓ એવી છે જેની ગુણવત્તા 100 ટકા સચવાઇ રહેતી નથી. રોજિંદા જીવનમા ઉપયોગી એવા દૂધ, લોટ, દહીં, તેલથી માંડીને શાકભાજીઓ પણ ગુણવત્તા ગુમાવી રહ્યા છે. શાકભાજી કે અનાજ વાવવામાં પણ અનેક પ્રકારના કેમિકલવાળા ખાતરનો ઉપયોગ થઇ રહ્યો તો ફળો પણ ઇન્જેક્શનની મદદથી પકવવામાં આવે છે.
હવે તો રસોડામાં વપરાતાં મસાલામાં પણ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે. એવામાં સરકાર તરફથી FSSAI (Food Safety and Standards Authority of India)એ તમામ પ્રકારની ફૂડ સામગ્રીમાં થતી ભેળસેળને ઓળખવવા માટે અભિયાન શરુ કર્યું છે. FSSAIની ટીમ પ્રેક્ટિકલ કરીને અસલી કે નકલી ખાદ્ય પદાર્થોની ઓળખ કરી રહ્યું છે. હાલમાં જ FSSAIએ અસલી-નકલી મરચાંની ઓળખ કરવા માટે ઉપાય બતાવ્યો છે.
FSSAIએ એના ટ્વીટર હેન્ડલ પરથી અસલી કે નકલી લાલ મરચાંને પારખવા માટે એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક સરળ પદ્ધતિ દર્શાવવામાં આવી છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, શું તમારું મરચું બ્રિક પાવડર કે રેત પાઉડરના ભેળસેળવાળું છે ? તો આવો જાણીએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ઓળખ કેવી રીતે કરી શકાય છે.
અસલી લાલ મરચાંની ઓળખ કરવા માટે FSSAIએ ખૂબ જ સરળ પદ્ધતિ જણાવી છે જેને પ્રેક્ટિકલ રીતે ઘરે પણ કરી શકાય છે. આ માટે લેબમાં જવાની જરુર પણ નથી.

લાલ મરચાંની ગુણવત્તા ચેક કરવા માટે સૌ પ્રથનમ એક ગ્લાસ પાણી લો. તેમાં એક ચમચી મરચાંનો પાવડર નાંખો. યાદ રહે કે મરચાં પાવડરને ચમચીથી હલાવશો નહી. પરંતુ મરચું જાતે જ પાણીના તળિયા સુધી જાય એની રાહ જુઓ. હવે પાણીમાં પડેલાં મરચાં પાવડરને હથેળીમાં લઇને હળવેથી મસળો. આમ કરતાં હાથમાં થોડુ પણ કરકરાશનો અનુભવ થાય તો સમજી લેવું કે લાલ મરચું ભેળસેળવાળું છે. અને જો પડેલુ લાલ મરચું સ્મૂથ અને ચિકણુ છે તો સમજવુ કે એમાં સાબુ કે સોપ પાવડરની ભેળસેળ કરવામાં આવી છે.