આપણે દિવસમાં બે વાર જમીએ છીએ અને સવારે નાસ્તો કરીએ છીએ. પણ આપણે ખાધા પછી હંમેશા બેસી રહેતા હોઈએ છીએ અથવા તો આરામ કરતા હોઈએ છીએ. જમ્યા પછી આપણને આળસ પણ ખૂબ જ આવતી હોય છે. રાત્રે જમ્યા પછી તો આપણે સીધા સૂઈ જ જતા હોઈએ છીએ. પરંતુ એવું કરવું આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. માટે જ ઘણીવાર આપણને જમ્યા બાદ સીધા સૂઈ જવાને બદલે થોડીવાર ચાલવાની સલાહ આપવામાં આવતી હોય છે.
ચાલવાથી થતા ફાયદા: જમ્યા પછી ચાલવાથી તમારું વજન કંટ્રોલમાં રહેશે. તમે એક જગ્યા પર બેસી રહો કે આડા પડી જાઓ તો તમારું વજન વધી જાય છે. જમ્યા પછી ચાલવાથી મેટાબોલિઝ્મ સુધરે છે અને તમારી કેલરી બળી જાય છે. જે લોકો સ્થૂળતાથી પીડાતા હોય એ લોકોએ જમ્યા બાદ ચાલવા જવું જ જોઈએ. તેમના માટે ચાલવું એ ફાયદાકારક સાબિત થાય છે.
જો ચાલવા માટે બહાર જવાના સંજોગો ન હોય તો જમ્યા પછી તમે ઘરમાં પણ 5 10 મિનિટ સુધી ચાલી શકો છો. આમ કરવાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહેશે. જમ્યા બાદ આપણા શરીરમાં બ્લડ શુગર વધી જાય છે. ખાસ કરીને જે લોકો શુગરની સમસ્યાથી પીડાતા હોય છે એ લોકોમાં શુગર ઝડપથી વધી જાય છે. જમ્યા પછી 5 10 મિનિટ ચાલવાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. ચાલવાથી તમારો મૂડ સારો રહે છે એ વાત ઘણા રિસર્ચમાં સામે આવી છે. ચાલવાથી કોર્ટિસોલ, ઍડ્રેનલાઇન સહિતના તણાવવાળા હોર્મોન્સ ઓછા થાય છે. જયારે તમે ચાલો છો ત્યારે શરીરમાં એંડોર્ફિન રિલીઝ થાય છે, જે કુદરતી પેઈન કિલરનું કામ કરે છે. જો તમને પણ જમ્યા બાદ મોડી રાતે ભૂખ લાગતી હોય તો રાતે જમ્યા પછી ચાલવા જવું તમારા માટે સારું રહેશે. ચાલવાથી તમને સંતુષ્ટિ થશે અને મોડી રાતે ખાવાની ઈચ્છા પણ નહિ થાય.