પાણીપુરીના ચટકારા બોલાવતા અમદાવાદીઓ ચેતજો, વાંચો આ રિપોર્ટ…

અમદાવાદ : અમદાવાદીઓ પાણીપુરી ખાતા હો તો સાવધાન. ફૂડ વિભાગની તપાસમાં પાણીપુરીનું પાણી અસુરક્ષિત હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા બે મહિનામાં 460 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 421ના રિપોર્ટ આવ્યા હતા. આ રિપોર્ટમાં પાણીપુરીનું પાણી સુરક્ષિત નથી એવું જણાવાયું છે.

પાણીપુરી ના શોખીન અમદાવાદીઓ હવે ચેતી જજો. કારણ કે પાણીપુરી ના પાણીમાં ભેળસેળ અને અખાદ્ય હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના લીધેલા સેમ્પલની તપાસમાં સામે આવ્યું છે. હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુ તથા તહેવારોના દિવસોમાં બિમારીઓ વધુ ના ફેલાય તે માટે કોર્પોરેશન વિભાગ હરકતમાં આવ્યું હતું.

અમદાવાદ શહેરની 19 દુકાનોમાંથી ચીજવસ્તુઓ અને પાણીની બોટલના સેમ્પલ લીધાં હતા. જૂન અને જુલાઈ મહિનામાં શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી 19 દુકાનોમાંથી ચીજવસ્તુઓ અને મિનરલ વોટરની બોટલોના સેમ્પલ લીધા હતા. આ જગ્યાએ થી લીધા હતા સેમ્પલ: સેટેલાઈટના જોધપુર રોડ પર જગદીશ શાહ પકોડી સેન્ટર, સેટેલાઇટની ભાવનાબેનની પાણીપુરી અને નવરંગપુરા ફાયર સ્ટેશન પાસે આર કે કીચનના પાણીપુરી ના પાણીના લેવાયેલા નમૂના અખાદ્ય હોવાનું સામે આવ્યું છે.

ઉપરાંત પાંચ પેકેજડ મિનરલ વોટરની પાણીની બોટલો અસુરક્ષિત હોવાનું બહાર આવ્યું છે. કોર્પોરેશનના રિપોર્ટમાં અખાદ્ય પાણી પૂરી અંગે વેપારીઓનું કંઇક આવું કહેવાનું થાય છે. જેમાં અમદાવાદના જોધપુર વિસ્તારમાં જગદીશ પાણીપુરી સેન્ટરના વેપારીએ કહ્યું કે, કોર્પોરેશનના રિપોર્ટમાં ઘણી ત્રુટીઓ છે. સેમ્પલ લે ક્યારે અને ટેસ્ટ ક્યારે કરે તે બંનેના સમયગાળામાં જો અંતર હોય તો ઘણા પાણી અસુરક્ષિત આવી શકે છે. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું કે તેમને કોઈ પણ પ્રકારના રિપોર્ટના પરિણામ અંગેની કોઈ માહિતી આપવામાં આવી નથી.